સલાહ નહી…સાથ આપો….
એકવાર એક પક્ષી પોતાની ચાંચ વડે દરિયામાંથી પાણી ભરી બહાર જમીન પર ઠાલવી રહ્યું હતું,
આવા સમયે એક બીજું પક્ષી અહીં આવી ચડ્યું,
તેણે પેલા પક્ષીને પૂછ્યું ભાઈ આ શું કરી રહ્યો છે?
પક્ષીએ જુસ્સા પૂર્વક કહ્યું કે આ દરિયાએ મારા બચ્ચાઓને ડૂબાડી દીધા છે, હું આ દરિયાને આ રીતે સૂકવી દઈશ.
આ સાંભળી પેલું બીજું પક્ષી હસવા લાગ્યું અને બોલ્યું અરે ભાઈ, તું નાનકડું પક્ષી! તું શું દરિયાને સૂકવવાનો! તું નહીં કરી શકે. આવું કરવામાં તારું જીવન ટૂંકુ પડશે.
આ સાંભળી પેલું પક્ષી બોલ્યું મને ખબર છે પણ તને એક વાત કહ્યું, દેવો જ હોય તો સાથ આપ આ રીતે સલાહ ના આપ…
સાથ જોઇએ છે, સલાહ નહી….
આ પક્ષી બધાને આ જ વાત કહેવા લાગ્યું અને પક્ષીઓને પણ તેની વાત સાચી લાગી અને અનેક પક્ષીઓ પેલા પક્ષી સાથે જોડાયા અને દરિયાનું પાણી ચાંચ વડે બહાર ઠાલવવા લાગ્યા.
આ દ્રશ્ય જોઇને ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડને પણ અહીં જઇ, આ પક્ષીઓની મદદ કરવાનું મન થયું. તે અહીં જવા તૈયાર થયું. આ વાતની જાણ ભગવાન વિષ્ણુને થતા તેમણે ગરૂડને કહ્યું કે તું ત્યાં જઈશ તો મારું કામ રોકાઇ જશે અને પક્ષીઓથી એ દરિયો સૂકાવાનો પણ નથી…
આ સાંભળી ગરૂડ બોલ્યું, “પ્રભુ, સલાહ નહી પણ સાથ જોઇએ”
ભગવાન વિષ્ણુને વાત સમજાઈ ગઈ, તેઓને પક્ષીઓ પાસે આવવું પડ્યું
ભગવાન વિષ્ણુંને જોઇ દરિયો પણ ડરી ગયો.
એક પક્ષીદ્વારા શરૂ થયેલી પહેલથી દરિયાએ ડરવું પડ્યું…કેમ?
કેમ કે તે પક્ષીએ સલાહ ન આપી કામ કરવાનું શરૂ કરી દીધુ…
કોરોનાના આ કાળમાં પણ આપણને સલાહ આપવાવાળા અનેક મળે છે પણ કામ કરવાવાળા, સાથ આપવા વાળા ઓછા મળે છે.
જો આવા મહામારીના સમયે આખો દેશ, પક્ષ-વિપક્ષ-જનતા એક થઈ જાય તો આ કોરોના નામના અદ્રશ્ય વાઈરસની કોઇ ઓકાત નથી કે માનવનું નુકસાન કરી શકે. જરૂર છે એકબીજાને સાથ આપવાની…
માટે એક જ સૂત્ર અપનાવો, સલાહ નહી, સાથ આપો…