લાકડાની તલવાર – હાથવગું હોય એ જ શ્રેષ્ઠ હથિયાર વાંચો એક બોધકથા

લાકડાની તલવાર ।  રાજાશાહી વખતની વાત છે. એક રાજ્ય પર કેટલાંક દુશ્મનોએ હુમલો કરી દીધો. ચારે તરફથી રાજ્યને ઘેરી લીધું. રાજ્યના સૈનિકો તાબડતોબ યુદ્ધે ચડ્યા. અચાનક હુમલો થવાને કારણે રાજાના સૈનિકો જાણે ઉંઘતા ઝડપાયા હતા. ન તો હથિયારના ઠેકાણા હતા ન તો હિંમતના.

રાજ્યના રાજા ખુદ યુદ્ધ કરવા મેદાને પડ્યા. અનેક દુશ્મનોને ઠાર મારી અંતે એ પણ હણાયા. ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. રાજા હણાયા, અનેક સૈનિકો હણાયા અને અનેક ગામ લોકો પણ હણાયા.

હવે દુશ્મનો ગામ અને મહેલની અંદર આવી પહોંચવાના હતા. જાે એવું થાય તો ગામની બહેન દીકરીઓ અને રાણીમાં, રાજાના દીકરી અને બે દીકરાઓ પણ હણાય. રાજાનો કુંવર એકવીસ વર્ષનો હતો. એણે જાહેરાત કરી. સૌ ગ્રામવાસીઓને હૂકમ છે કે બધાએ યુદ્ધમાં ભાગ લેવાનો છે. આપણા હથિયારો ખતમ થઈ ગયા છે, જેના હાથમાં જે આવે એ લઈને લડવાનુ છે.

બધા જ ગામ લોકો નીકળી પડ્યા. કેટલાંક મન અને હિંમતથી નીકળ્યા તો કેટલાંક પરાણે. રાજકુંવર ખુદ તલવાર લઈને દુશ્મનો વચ્ચે આવી ઉભા. એમની જ બાજુમાં એક વિદૂષક ઉભો ઉભો થથરતો હતો. રાજકુંવરે તરત જ હૂકમ કર્યો, ‘વિદૂષકજી, આમ ઉભા ના રહો. લડવા માંડો.’

વિદૂષક બોલ્યો, ‘કુંવરસાહેબ, હું શું લડું! મારી પાસે તો હથિયાર પણ નથી.’

રાજકુંવર બોલ્યા, ‘આ હાથમાં તલવાર તો છે!’

‘અરે, પણ એ તો લાકડાની તલવાર છે. એનાથી થોડું યુદ્ધ જીતાય છે. લોકો મારી નાંખે.’ વિદુષક બોલતો બોલતો રડવા માંડ્યો. રાજકુંવરે એમને જુસ્સો ચડાવ્યો, ‘વિદૂષક અત્યારે જે હથિયાર હોય એ લઈને કુદી પડવાનો સમય છે. આજે હો એક જ પડકાર, હવે તો હાજર હો એજ હથિયાર!’ આમ બોલી રાજકુંવર યુદ્ધમાં પરોવાયા.

પણ વિદૂષક લાકડાની તલવારથી લડી ના શક્યો. એણે તલવાર ફેંકી દીધી અને દુશ્મનના પગમાં પડી ગયો. દુશ્મને એને કલાકાર સમજી જવા દીધો. એ ઉભી પૂંછડીએ ગામમાં ભાગ્યો.

દરમિયાન યુદધમાં રાજકુંવરની અસલી તલવારની મુઠ તૂટી ગઈ અને એ દુશ્મને આંચકી લીધી. એ રાજકુંવરનું ગળુ જ વેતરવાનો હતો ત્યાંજ રાજાએ વિદૂષકે ફેંકેલી પેલી લાકડાની તલવાર ઉપાડી લીધી અને વિંજવા માંડ્યા. એમણે ત્રાડ નાંખી, ‘આવી જાવ…. આજે તો તમારા માથા રંગી નાંખું.’

અને ખરેખર લાકડાની તલવાર વડે એ એક પછી એક દુશ્મનના માથા શ્રીફળ જેમ ફોડતા ગયા. રાજકુંવરની તલવાર લાકડાની હતી પણ એમનો જુસ્સો અને હિંમત અસલી તલવાર કરતાંયે વધારે ધારદાર હતા.

એમણે લાકડાની તલવાર વડે દુશ્મનોને હાંકી કાઢ્યા અને પોતાના રાજ્યના લોકોને બચાવ્યા.

ગામમાં વિદૂષક વાતો કરતો હતો કે એની પાસે હથિયાર નહોતું એટલે એણે શરણે થવું પડ્યુ.

જ્યારે એની જ ફેંકેલી લાકડાની તલવાર વડે રાજકુંવર યુદ્ધ જીતી લાવ્યા હતા.

લોકોએ વિદૂષકને બરાબરનો ભાંડ્યો અને રાજકુંવરને રાજગાદીએ બેસાડ્યો.

એ દિવસે આ રાજકુંવરે લોકોને નવો પાઠ શીખવ્યો હતો. પડકાર આવે ત્યારે હાજર હોય એ હથિયારથી લડી લેવું જોઈએ. એ હથિયાર ક્યારેક એટલું બધું કારગત નીવડે છે કે અસલી હથિયાર પણ પાછુ પડે. ત્યારથી લોકો માનવા લાગ્યા, હાજર સો હથિયાર.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *