બીરબલ અને બીજામાં શો તફાવત? | Akbar Birbal Ni Varta 

અકબર બાદશાહના દરબારમાં નવરત્નો, મહાન કલાકારો, વિદ્વાનો, કવિઓ અને બુદ્ધિશાળી નગરજનોનો સમાવેશ થતો હતો. આ સર્વેમાં બીરબલ અકબરના સૌથી ખાસ મંત્રી હતા. બીરબલની બુદ્ધિચાતુર્ય અને હાજરજવાબીપણું જોઈને ખુદ અકબર પણ અવારનવાર દંગ રહી જતા. ગમે તેવી જટિલ સમસ્યા હોય, બીરબલ તેનો પલવારમાં ઉકેલ લાવી દેતા, તેથી જ તેઓ બાદશાહના અત્યંત પ્રિય પાત્ર હતા.

દરબારમાં બીરબલનું આટલું સન્માન જોઈને અન્ય દરબારીઓ ઈર્ષ્યાથી બળતા હતા. તેઓ હંમેશા બીરબલને નીચો દેખાડવાની અને તેમને હરાવવાની તકની રાહ જોતા રહેતા.

એક દિવસ કોઈ કારણસર બીરબલ દરબારમાં હાજર રહી શક્યા નહીં. ઈર્ષ્યાખોર દરબારીઓને આ સોનેરી તક લાગી. તેઓએ બાદશાહના કાન ભંભેરવાનું શરૂ કર્યું. બધા એકીસાથે બોલી ઉઠ્યા, “મહારાજ! આપ બીરબલને જ આટલું બધું મહત્વ કેમ આપો છો? શું અમારામાં તેનાથી ચડિયાતું કોઈ નથી?”

બાદશાહ તેમની વાત સાંભળીને મનોમન હસ્યા. દરબારીઓના આગેવાન બનેલા મૌલવીજીએ પૂછ્યું, “અન્નદાતા! શું બીરબલ અમારા કરતાં વધુ વિદ્વાન છે?”

બાદશાહે સ્મિત સાથે જવાબ આપ્યો, “મૌલવીજી, બીરબલમાં અને તમારા બધામાં ઘણો તફાવત છે.”

દરબારીઓએ વિનંતી કરી, “જહાંપનાહ, જે તફાવત હોય તે અમને જણાવો. આજે અમારે તે જાણવાની ઈચ્છા છે.”

અકબરે કહ્યું, “ચોક્કસ! હું સમય આવ્યે તમને તેની પ્રતીતિ કરાવીશ. અત્યારે તમે કોઈ પણ કારણ જણાવ્યા વગર બીરબલને સંદેશો મોકલાવી દો કે તેમને સભામાંથી સાત દિવસની રજા આપવામાં આવે છે.”

દરબારીઓ રાજી થઈ ગયા અને બીરબલને રજાનો સંદેશો મોકલાવી દીધો. આ સાત દિવસ માટે બાદશાહે બીરબલની જગ્યાએ મૌલવીની નિમણૂક કરી અને તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું.

સાતમે દિવસે એક પ્રસંગ બન્યો. અકબરે પૂછ્યું, “મૌલવીજી! રાજમહેલની પાછળ કાંઈક ‘કાં… કૂં… કાં… કૂં…’ જેવો અવાજ આવી રહ્યો છે. જરા જોઈ આવો તો શું છે?”

મૌલવી તરત જ દોડીને મહેલની પાછળ ગયા અને આવીને બોલ્યા, “મહારાજ! ત્યાં એક કૂતરી વિયાઈ છે અને તેના બચ્ચાં અવાજ કરી રહ્યા છે.”

બાદશાહે પૂછ્યું, “કેટલાં બચ્ચાં છે?”

મૌલવીએ જવાબ આપ્યો, “મહારાજ, બચ્ચાં તો ગણ્યા નથી.”

“તો જઈને ગણી આવો,” બાદશાહે આદેશ આપ્યો.

મૌલવી બીજી વાર ગયા અને પાછા આવીને કહ્યું, “મહારાજ, છ બચ્ચાં છે.”

અકબરે ફરી પૂછ્યું, “તેમાંથી કેટલા નર અને કેટલી માદા છે?”

મૌલવી પાસે જવાબ નહોતો, એટલે તેમણે ત્રીજી વાર ધક્કો ખાવો પડ્યો. તેમણે આવીને કહ્યું, “હજૂર, બે નર છે અને ચાર માદા.”

પરીક્ષા અહીં પૂરી ન થઈ. બાદશાહે પૂછ્યું, “નર બચ્ચાના રંગ કેવા છે?”

મૌલવી ચોથી વાર ગયા અને પાછા આવીને બોલ્યા, “એક નર કાળો છે અને બીજો બદામી.”

“અને માદાઓનો રંગ?” બાદશાહે વળી પ્રશ્ન કર્યો.

મૌલવી પાંચમી વાર ગયા અને પરસેવે રેબઝેબ થઈને આવીને બોલ્યા, “હજૂર, બે માદા સફેદ છે, ત્રીજી કાબરી અને ચોથી બદામી છે.”

બાદશાહે તેમને શાંતિથી બેસવા કહ્યું.

બીજા દિવસે બીરબલ ફરીથી દરબારમાં હાજર થયા. બાદશાહે બીરબલને બોલાવીને કહ્યું, “બીરબલ! બે દિવસથી મહેલની પાછળ કંઈક અવાજ આવે છે, જરા જોઈ આવ તો શું છે?”

બીરબલ તરત જ જઈને તપાસ કરી આવ્યા અને કહ્યું, “જહાંપનાહ! એક કૂતરી વિયાઈ છે અને તેના છ બચ્ચાં રડે છે. તેમાંથી બે નર છે અને ચાર માદા. નર બચ્ચાં કાળા અને બદામી રંગના છે, જ્યારે માદાઓમાં બે સફેદ, એક કાબરી અને એક બદામી છે.”

આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો! જે માહિતી મેળવવા માટે મૌલવીએ પાંચ ધક્કા ખાવા પડ્યા, તે બધી જ વિગતો બીરબલ માત્ર એક જ વખતમાં જોઈને આવ્યા હતા.

અકબરે હસીને મૌલવીજી સામે જોયું અને પૂછ્યું, “મૌલવીજી! હવે સમજાયું કે તમારામાં અને બીરબલમાં શો ફેર છે?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *