કોંગ્રેસ અને આપ (AAP) આ કામ કરે તો ૨૦૨૨માં ભાજપને હરાવી શકાય છે!! પણ એ શક્ય નથી!

 

 

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને કોંગ્રેસ – આપનો પરાજય થયો. આ જીત પરાજિત પછી કોંગ્રેસ કહી રહી છે કે આપે અમારા વોટ તોડ્યા આથી અમને નુકસાન થયું જ્યારે આપ કહી રહ્યું છે કે કોંગ્રેસ બરાબર પ્રદર્શન ન કરી શકી એટલે અમને વધારે બેઠક ન મળી. જે હોય તે પણ ફાયદો ભાજપને થયો છે અને કોંગ્રેસનો ગઢ ગણાતી ગાંધીનગર મનપા પણ હવે તેના હાથમાંથી જતી રહી છે.

એકવાત તો આ પરિણામ પરથી સ્પષ્ટ દેખાય છે કે આપના કારણે ભાજપને ફાયદો થયો છે. જો આવું ને આવું ગુજરાતની ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં થશે તો નક્કી ભાજપને ફાયદો થશે અને ભાજપનું જે ૧૫૧ બેઠક જીતવાનું સપનું છે તે પૂર્ણ પણ થઈ શકે. મતોનું વિભાજન ભાજપ માટે હાલ ફાયદા કારક સાબિત થઈ રહ્યું છે. જે ૧૯૭૬ પહેલા કોંગસે માટે ફાયદાકારક હતું.

આપણે અહીં ગુજરાતની ૧૯૭૬ ની વિધાનસભાની ચૂંટણી યાદ કરવી જોઇએ. ત્યારે મતોનું વિભાજન કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થતું હતું. કોંગ્રેસ સામે નાના નાના પક્ષો ઉભા રહેતા હતા અને તે મત લઈ જતા પણ તેનો ફાયદો કોંગ્રેસને થતો. તે વખતે આ વાત જયપ્રકાસજીના ધ્યાનમાં આવી અને જનતા મોરચાને કોંગ્રેસ સામે લડાવામાં આવી અને કોંગ્રેસને ૬૫ બેઠકનું નુકસાન થયું હતું. આ હાર પછી ગુજરાતમાં કોંગ્રેસ પાછી બેઠી થઈ શકી નથી.

કોંગ્રેસે અને આપે અહીંથી વાત શીખવા જેવી છે. આજે મતોનું વિભાજન ભાજપને ફાયદો પહોંચાડી રહ્યું છે. આથી જયપ્રકાશે જે કોંગ્રેસ સામે ૧૯૭૫માં કર્યુ તેવું કોગ્રેસે આજે કરવાની જરૂર છે. આ થાય તો ભાજપને હરાવી શકાય છે

કહેવાનો અર્થ એ છે કે શું ગુજરાતમાં કોંગ્રેસ અને આપ ચૂંટણી પહેલા જ ગઠબંધન કરી શકે તો કેવું? તેઓ નક્કી કરે અને ૧૮૨ વિધાનસભાની બેઠકની વહેંચણી કરી લે. જ્યા કોંગ્રેસ લડે ત્યા આપ ન લડે અને જ્યાં આપ લડે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર ન ઉભો રહે. સિમ્પલ છે. આવું થાય તો નક્કી ગુજરાતમાં આપ અને કોંગ્રેસની સહીયારી સરકાર બની શકે છે.

ગઈ વિધાનસભાની ચૂંટણીમાં વડગામની બેઠકને યાદ કરો. અપક્ષ તરીકે જીગ્નેશ મેવાણી ઉભો હતો એટલે તેની સામે કોંગ્રેસે તેનો ઉમેદવાર ઉભો ન રાખ્યો. ૨૦૧૨ની વિધાન સભાની ચૂંટણીમાં વડગામ બેઠક પર કોંગ્રેસના મણિલાલ વાઘેલાએ ૨૧,૮૩૯ મતથી ભાજપના કદાવર મંત્રી ફકિરભાઈ વાઘેલાને હરાવ્યા હતા. અહીં જીગ્નેશ મેવાણીને જીતાડવા કોંગ્રેસે પોતાની જીતી શકાય એવી બેઠક જતી કરી હતી આથી સીધી લડાઈ અપક્ષ અને ભાજપના ઉમેદવાર વચ્ચે થઈ અને પરિણામ શું આવ્યું? જીગ્નેશ મેવાણીની જીત થઈ. જો અહીં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હોત તો ન કોંગ્રેસની જીત થાત ન જીગ્નેશની, જીત થાય ભાજપની….

અમદાવાદની ખાડિયા બેઠકને યાદ કરો. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં અહીં ભાજપના ભૂષણ ભટ્ટની જીત થઈ હતી. કેમ થઈ હતી? કેમ કે અપક્ષના સબિર કાબલીવાલાને ૩૦ હજાર કરતા વધારે મત મળ્યા હતા. આનાથી કોંગ્રેસના મત ઘટ્યા અને ફાયદો ભાજપને થયો. ત્યાર પછી ૨૦૧૭માં અહીં શું થયુ?  આજ બેઠક પર ૨૦૧૭ની ચૂંટણીમાં આ અપક્ષવાળા ભાઈને કોંગ્રેસે મનાવી લીધા એટલે તે ચૂંટણીમાં ઉભા ન રહ્યા અને ખાડીયાની બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. સિમ્પલ છે. મત વિભાજનનું  આ ગણિત છે. સમજીને આગળ વધો તો ધાર્યુ પરિણામ મળી શકે છે.

ટૂંકમાં ભાજપની સત્તાને ગુજરાતમાં અટકાવવી હોય તો મત વિભાજનને રોકવું પડે અને અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોંગ્રેસ અને આપ એક થઈને લડે. સત્તાની વહેંચણી કરે. બાકી ગાંધીનગરના પરિણામ પરથી લાગે છે કે આમને આમ ચૂંટણી ૨૦૨૨ માં લડાશે તો ભાજપને રેકોર્ડ તોડ બેઠકો મળશે…

મહત્વની વાત એ છે કે આ માત્ર કલ્પના છે. કેમ કે ચૂંટણી પહેલા દરેક પક્ષને લાગે છે કે અમે જીતી જવાના છીએ અને હાર્યા પછી જ આવી કલ્પનાઓ પર વિચાર કરવામાં આવે છે. કોંગ્રેસ અને આપ ચૂંટણી પહેલા એક થાય એવું લાગતું નથી. એટલે ખરા અર્થમાં આ લેખને બહું ગંભીરતાથી લેવો નહી…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *