લુપ્ત થઇ રહેલી કળા ‘ભવાઈ’ વિશે તમે જે જાણવા માંગો છો એ બધું જ!

ગુજરાતની એક વિશિષ્ટ કળા ‘ભવાઈ’ ( Bhavai ) નો ઇતિહાસ વાંચો બે મિનિટમાં…સમાજને સંસ્કારી કરવા, દોષમુક્ત કરવા અને સન્માર્ગે વાળતી ભવાઈની કળા આજે  લગભગ લુપ્ત થઈ ગઈ છે.

ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ ‘ભાવ’ પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે. ગુજરાતની એક વિશિષ્ટ કળા ‘ભવાઈ’ એ ત્રાગાળા (તરગાળા) ભોજક જ્ઞાતિના આદિપુરુષ અસાઈત ઠાકરની દેણ છે.

ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ ‘ભાવ’ પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે.

ભવાઈ વેશના ભીષ્મપિતામહ અસાઈત ઠાકર યજુર્વેદી કર્મકાંડી હતા. એક હિન્દવાણીના શીલની રક્ષા કાજે તેમણે વટલાવાનું પસંદ કર્યું. સિદ્ધપુરની બ્રાણ જ્ઞાતિએ તેમનો બહિષ્કાર કર્યો, જ્ઞાતિ બહાર મૂક્યા અને રોટી-બેટી વ્યવહાર પણ બંધ કર્યો. એટલે અસાઈત સિદ્ધપુર છોડી ઊંઝા આવ્યા અને કદીય સિદ્ધપુરમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા લીધી. આથી તે ત્રાગાળા કહેવાયા. દીકરા પણ સાથે હતા. તેમનાં ત્રણ ઘર તેથી ત્રણ ઘરા, તરગાળા થયું હોવાનું પણ કહે છે. તે ઊંઝામાં સ્થિર થયા. ઊંઝાએ તેમને હૈયાના હેતથી આવકાર્યા. ઊંઝાના પટેલોએ પોતાની દીકરીના શીલનું રક્ષણ કરનાર અસાઈતને મકાન આપ્યું, જમીન આપી, આજીવિકાની વ્યવસ્થા કરી આપી. આ અસાઈતે સમાજની દુર્દશા જોઈ, તેની આંતરડી કકળી ઊઠી અને એ સ્પંદનોમાંથી જન્મ થયો ‘ભવાઈ વેશ’નો. તેમણે દરરોજ એક નવો વેશ ભજવી શકાય તેવા 370 ભવાઈ વેશ લખ્યા અને ભજવ્યા. આજે તેમના વંશજો નાયક અને ભોજક કહેવાય છે.

ભવાઈનાં મોટા ભાગનાં કથાવસ્તુ ઇતિહાસ અને સામાજિક પ્રશ્ર્નો પર આધારિત રહેતાં, જેથી સમાજની કુરૂઢિઓ, વહેમ, અંધશ્રદ્ધા દૂર થાય.

ભવાઈનું મુખ્ય પાત્ર નાયક કહેવાય છે. અસાઈત મુખ્ય પાત્ર ભજવતા એટલે તે નાયક કહેવાયા અને ભવાઈ એ તેમનો વારસાગત ધંધો બની ગયો. એ સમયમાં સ્ત્રીઓ વેશ ન ભજવી શકતી. એટલે પુરુષ તે વેશ ભજવતો અને તે એટલો તો આબેહૂબ ભજવતો કે સ્ત્રીઓ પણ ભુલાવામાં પડી જતી.

હું વર્ષો સુધી અમદાવાદમાં ત્રાગાળા જ્ઞાતિની વચ્ચે રહ્યો છું. ત્યાં સાંભળેલી આ વાત છે. એકવાર ત્રાગાળાની કેટલીક બહેનો લોકાચાર માટે ગામડે ગઈ હતી. 2-3 દિવસ પછી પાછી આવી. ત્યારબાદ છણભણ વાત ચાલી કે આ મહિલાઓમાં એક પુરુષ સ્ત્રીવેશ ધારણ કરીને ગયેલો અને 2-3 દિવસના સહવાસમાં કોઈને જરા સરખોય અંદાજ ન આવ્યો કે તે પુરુષ છે. એ હતા જયશંકર ભોજક. આને કારણે તો તેમનું નામ ‘સુંદરી’ પડ્યું. આવી અભિનયપટુતા આ કોમને વારસામાં મળી છે.

ભવાઈ ખુલ્લા મેદાનમાં રમાય છે. મેદાનમાં ધૂળ હોય છે તો પાણી છંટાય છે. આમાં ટિકિટના દર નથી હોતા. વહેલો તે પહેલોના ધોરણે બધાં ગોઠવાઈ જતાં હોય છે.

શરૂઆતમાં ભૂંગળ વાગે. રાતના શાંત વાતાવરણમાં ભૂંગળનો સૂર ચોમેર ફરી વળે. એટલે બાકી રહી ગયેલા પ્રેક્ષકો પણ ઝટપટ આવીને ગોઠવાઈ જાય. પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.

દુંદાળો દુ:ખભંજણો, સદાય બાળેવેશ,
પરથમ પહેલાં સ્મરિયે, ગવરીપુત્ર ગણેશ.

સ્તુતિ પૂરી થતાં જ ભૂંગળ, નરઘાં કાંસી જોડાની રમઝટ જામે અને રંગલો અને રંગલી વિષયની માંડણી કરે અને ભવાઈ વેશ શરૂ થાય. ભવાઈમાં ગીત, કવિત અને સંગીતની સાથોસાથ નૃત્યને પણ એટલું જ અગત્યનું ગણ્યું છે. વાક્યાર્થનો અભિનય અને રસ આ બે ગુણો ભવાઈમાં છે. ભવાઈમાં સવૈયા, કુંડળિયા અને જકડીને અનુસરતા અંગવિશેષને સ્પષ્ટ કરી શકાતો નથી.’ ભવાઈ રમનારા નાયક અને ભોજક ભોજકો જૈન દેરાસરોમાં સંગીત શીખવતા, પછી ગાવાના ધંધામાં પરોવાયા. આજે તો ભવાઈ લગભગ મૃત:પ્રાય અવસ્થામાં છે. થિયેટરોમાં ચાલતાં નાટકો અને લાંબે ગાળે ચલચિત્રોને લીધે ભવાઈ લુપ્ત થતી જાય છે. ‘જેમ આજકાલ લોકોની માનતા પૂરી થાય તો ભગવાનને નાળિયેર વધેરે છે કે પછી કોઈ બીજી બાધા માને છે તે જ રીતે પહેલાં લોકો પોતાના ગામમાં ભવાઈ કરાવવાની બાધા રાખતા. ભવાઈ લોકોની ધાર્મિક શ્રદ્ધા સાથે સંકળાયેલી હતી. તેના કલાકારો આઠ-આઠ મહિના સુધી ગામેગામ ફરતા અને તેમાંથી જે મળતું એટલામાં પોતાનું ગુજરાન ચલાવતા.’

આવી આ ભવાઈ સમાજને સંસ્કારી કરવા, દોષમુક્ત કરવા અને સન્માર્ગે વાળવા ભજવાતી તે લગભગ લુપ્ત થઈ ગઈ છે.

ભવાઈનાં મુખ્ય અંગો…..

ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.

તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.

વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.

રંગભૂષા : ભવાઈની રંગભૂષા પોતાની આગવી છે. માતાજીના મંદિરે કે કોઈ ધાર્મિક સ્થળે કલાકારો પાત્ર પ્રમાણે વેશપરિધાન અને રંગભૂષાની તૈયારી કરે છે. બોદાર, સફેદો, પીળો રંગ, લાલી, કોલસો કે મેશ.

નૃત્યના ઠેકા: કથ્થકના

જરીવાળી સાડી, મુગટ (પીતાંબર), લાલ, પીળા, સફેદ રંગના ખેસ, ધોતિયાં, ઓઢણી, ચોરણી, સુતરાઉ ફૂમતાંવાળી મુસ્લિમ ઢબની ટોપી વગેરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *