Site icon Gujjulogy.com

Gujarati Short Story | અનુકરણ એટલે મરણ । એક ખૂબ ટૂંકી બોધકથા

 

Gujarati Short Story | એક આશ્રમ હતો. અહીં એક ગુરૂ હતા જેમની ઉંમર ખૂબ મોટી હતી. આ ગુરૂને કેટલાંક શિષ્યો પણ હતા. એક દિવસ ગુરૂને લાગ્યું કે હવે આ દેહ છોડવાનો સમય નજીક આવી ગયો છે. એટલે તેમણે તેમના બધા જ શિષ્યોને બોલાવ્યા.

તેમણે શિષ્યોમાંથી એક શિષ્યને કહ્યું કે મારા બધા જ લખેલા પુસ્તકો (હસ્તપ્રત) અહીં લઈ આવ. શિષ્ય એ એવું જ કર્યું. થોડીવારમાં જ શિષ્ય ગુરૂના લખેલા બધા જ પુસ્તકો લઈ આવ્યો અને તેમની સામે મુકી દીધા.

બધા શિષ્યોને લાગતું હતું કે ગુરૂનો જવાનો સમય આવી ગયો છે એટલે ગુરૂજી પોતાનો છેલ્લો સંદેશ આપવા માંગે છે. બધા વિચારતા હતા કે ગુરૂનો છેલ્લો સંદેશ શું હશે? એટલામાં ગુરૂજી ઊભા થયા અને તેમના લખેલા પુસ્તકોને સળગાવી દીધા.

બધા શિષ્યો જોતા જ રહી ગયા. બધાને દુઃખ થયું. ગુરૂજીએ આ શું કર્યું? હવે શું થશે? એક શિષ્યએ પુછ્યું પણ ખરું કે ગુરૂજી આવા અમૂલ્ય ગ્રંથો કેમ સળગાવ્યા? હવે તમારા વિચારોવાળા ગ્રંથો ક્યાંથી લાવીશું? બધા હાથથી લખેલા ગંથો હતા. હવે તેની નકલ પણ નહીં મળે?

આ સાંભળી ગુરૂજીએ જે છેલ્લો સંદેશ આપ્યો તે આજે દરેકે સમજવા જેવો છે…!!

ગુરૂએ કહ્યું કે હવે હું વિદાય લવ છું. હું મારા વિચારો અને અભિપ્રાયો અહીં શું કામ મૂકીને જવ. તમને મારો છેલ્લો સંદેશ એ જ છે કે કોઇનું અનુકરણ કરતા નહીં. મારું પણ નહી. મારા વિચારોને સમજતા પહેલા તમે સ્વયંને પહેલા ઓળખો તો બહુ છે! મને કે મારા વિચારોને નહી પણ તમારા ભીતરમાં ઊતરી “સ્વ” ની ખોજ કરો. મારો શિષ્ય પોતાનું કલ્યાણ જાતે જ કરી શકે છે. તેમને મારા ગ્રંથોની જરૂર નથી. માટે મેં તેમને આગ ચાપી છે…!!

 

Exit mobile version