Shri krishna and dharma yudh | જ્યારે જ્યારે પણ ચતુરાઈની વાત આવે ત્યારે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યાદ આવે જ આવે. કૃષ્ણના જીવનમાં જાેઈશું તો એમણે હંમેશાં સત્યતા ભરી ચતુરાઈ સાથે જ કાર્યો કરીને પ્રજાને ચતુરાઈનો બોધ આપ્યો છે. બાળપણમાં પૂતનાનો વધ તેઓ કોઈ પણ વિરાટ સ્વરૂપ ધારણ કરીને કરી શકતા હતા. એના બદલે તેમણે બાળકનો વેશ જ રાખીને પોતાની ચતુરાઈ દ્વારા એનો વધ કર્યો. એ પછી મામા કંસને હણવામાં પણ એમણે ભરોભાર ચતુરાઈ વાપરી અને શકુનીના પાસા અવળા પાડવામાં પણ ચતુરાઈ વાપરી.
મહાભારતના યુદ્ધમાં ડગલેને પગલે ભગવાન શ્રી કૃષ્ણની ચતુરાઈના દર્શન થાય છે.
અશ્વથામા નામનો હાથી હણાયો ત્યારે ચતુરાઈ પૂર્વક એમણે અશ્વથામા નામના વ્યક્તિના હણવાના સમાચાર વહેતા કરાવડાવીને ચતુરાઈ પૂર્વક દુશ્મનોના ખેમાંમાં હાહાકાર કરી નાંખ્યો હતો. અર્જુન અને કર્ણનું યુદ્ધ થવાનું હતુ. એમને ખબર હતી કે કર્ણ કદાચ અર્જુન પર ભારે પડશે તો અધર્મનો વિજય થશે. એના માટે તેમણે ચતુરાઈ વાપરી કર્ણના સારથી પાસે કર્ણની ટીકા કરાવી કરાવીને એને નાસીપાસ કરાવ્યો અને કર્ણ હાર્યો. એવી જ રીતે દૂર્યોધન જ્યારે સંપૂર્ણ નગ્ન થઈને એમની માતા ગાંધારી પાસે શક્તિ મેળવવા જઈ રહ્યો હતો ત્યારે એની સામે આવી અનેે કહ્યુ કે, માતા સામે નગ્ન ના જવાય. આમ એણે લંગોટ ધારણ કરી એટલે એનો એટલો ભાગ લોખંડનો ના થયો. પછી એજ કૃષ્ણએ ભીમ અને દૂર્યોધનનું યુદ્ધ થતું હતું ત્યારે આ ચતુરાઈ વાપરી ભીમને ઈશારો કર્યો કે દૂર્યોધનને જાંઘના ભાગે મારે. આમ એને પણ હરાવ્યો.
આમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બોધ આપે છે કે જીવનમાં ધર્મ માટે અવશ્ય ચતુરાઈ વાપરવી જાેઈએ.